વાંસળી ધુન તો કોને મોહિત નથી કરતી! પછી એ આપણા કાન્હાજી હોય કે તેમના અવતારી મહાપુરુષ; આપણા પંડિત પન્નાલાલ ઘોષ હોય! હરી હોય કે હરીપ્રસાદજી હોય! વાંસળી કે વેણુ, તેનો પ્રભાવ પડ્યા વગર ના રહે! પણ એની માટે સ્વભાવ અને ભાવ જોઈએ! ઘણા અભાવો વચ્ચે રહીને પણ સ્વમાં ઊતરેલા વાંસળી ભાવને જાગૃત કરીને તેના પ્રભાવનું લોકો સુધી પ્રસારણ કરી ગુમનામ રહેવું કે પ્રસિદ્ધિથી પર રહેવું એ પન્નાબાબુજી સિવાય કોણ કરી શકે? તેમણે જ એક સામાન્ય લોકધુન વગાડતી નાની વાંસળીને શાસ્ત્રીય રુપ અપાવ્યું અને સ્ટેજ પર શાસ્ત્રીય રૂપથી સોલો વગાડીને શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે અમરત્વ આપ્યું. તેમની સંગીત સાધનાને પૂર્ણ રૂપે સાથ-સહકાર અને પ્રેરણા આપનાર તેમનાં પત્ની પારુલ ઘોષને કેમ વિસરાય. બાબુજીની સેવા ખાતર તેમણે તેમની ગાયકીને તિલાંજલિ આપી. તેઓ પણ બહુ સરસ પ્લેબેક સિંગર હતાં. પારુલજી સંગીત નિર્દેશક અનિલ વિશ્વાસનાં બહેન હતાં. બાબુજીએ તેમની અલ્પ આયુમાં સંગીત ક્ષેત્રમાં બહુ વિશાળ અને વિરાટ કામ કર્યું છે, જેની જાણકારી અસંખ્ય લોકો સુધી પહોંચાડવાનો મારો હેતુ છે. આ કાર્યના મુખ્ય હક્કદાર છે, મારા ગુરૂ શ્રી વિશ્વાસભાઈ કુલકર્ણી, જેઓએ જીવનના અઢી ત્રણ દાયકા સુધી અથાક મહેનત કરીને પંડિત પન્નાલાલ ઘોષની જીવન ઝરમર ઝગમગાવી છે, તે આપણી સમક્ષ લાવ્યા છે. એમણે આ બધું કેવી રીતે કર્યું; તેની ઉપર પણ એક પુસ્તક લખી શકાય એમ છે પણ વિશ્વાસભાઈ આપણને તેમની માહિતી આપે તો જ થાય. તેઓ તે લખવાની અનુમતિ આપે તો જ થાય, પણ તેઓ એટલા નમ્ર છે કે પ્રશંસા અને પ્રશસ્તિથી માઇલો દુર રહે અને ફક્ત સ્માઇલ કરે. આશા છે આપ સૌને બાબુજી હૃદયસ્થ કરવામાં કંઇક અંશે સફળ રહી શકું અને તે કરવામાં રહી ગયેલ ઊણપ માટે ક્ષમા કરશો...
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.